અમદાવાદ, શુક્રવાર: અમદાવાદના દિલ્હી ચકલા પાસેના ભાડભૂંજા હાડવૈદમાં ડિગ્રી વગરના લોકો દર્દીઓની સારવાર કરે છે, જેના કારણે દર્દીઓની હાલત ખરાબ થઈ રહી છે. ઇસનપુરમાં રહેતી દક્ષાબેન નામની મહિલાને સામાન્ય પગના દુખાવાની સારવાર કરાવવા માટે ભાડભૂંજા હાડવૈદ પાસે જવું ભારે પડ્યું. સારવાર દરમિયાન તેમની કમરનો બોલ તૂટી ગયો, જેના કારણે તેમને છ મહિના સુધી આરામ કરવો પડ્યો અને ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવી પડી.
દક્ષાબેન કામ પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પડી ગયા અને તેમના પગમાં દુખાવો થયો. અગાઉ તેમણે હાથની સારવાર દિલ્હી ચકલામાં આવેલા ભાડભૂંજા હાડવૈદ પાસે કરાવી હોવાથી તેઓ ત્યાં પગના દુખાવાની સારવાર માટે ગયા. ત્યાં હાજર યુવકે એક્સ-રે કાઢીને પાટો બાંધી દીધો અને ચાર-પાંચ દિવસમાં ફરીથી બતાવવાનું કહ્યું. જ્યારે દક્ષાબેન ફરીથી બતાવવા ગયા, ત્યારે ત્યાં સારવાર કરી રહેલા યુવકે તેમના પગને ખેંચ્યો, જેના કારણે દુખાવો અચાનક વધી ગયો. યુવકે કહ્યું કે તેઓ સારા થઈ જશે અને તેમને જવા દીધા.
દુખાવો ઓછો ન થતાં દક્ષાબેન પાલડીમાં આવેલી હોસ્પિટલમાં બતાવવા ગયા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે ભાડભૂંજા હાડવૈદના દવાખાનામાં રહેલા યુવકે પગ ખેંચતા તેમની કમરનો બોલ તૂટી ગયો હતો. આની સારવાર માટે ઓપરેશન કરાવવું જરૂરી હતું, નહીં તો તેઓ ચાલી પણ ન શકે. આ ઓપરેશનનો ખર્ચ ઘણો વધારે હતો. છેવટે, મણિનગરમાં આવેલી ક્યોર એન્ડ કેર હોસ્પિટલમાં તેમનું ઓપરેશન અઢી લાખ રૂપિયામાં કરવામાં આવ્યું અને તેમને છ મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
આમ, ભાડભૂંજા હાડવૈદમાં ડિગ્રી વિના કામ કરતા યુવકની બેદરકારીથી વધુ એક દર્દીની સ્થિતિ ખરાબ થઈ છે. આ અંગે પોલીસ અને આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી છે. આ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં પણ ફરિયાદ કરવામાં આવશે.
દવાખાનામાં ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા સારવાર કરવી ફરજિયાત છે, પરંતુ ભાડભૂંજા હાડવૈદને ત્યાં માત્ર ડોક્ટરના નામના પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. આ બાબતની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને છે, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે દર્દીઓના જીવને જોખમમાં મૂકે છે.