રાજકોટ: ગુજરાતની એકમાત્ર રાજકોટ એઈમ્સ (AIIMS Rajkot)માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા અને ઈન્ટર્ની ડોક્ટર તરીકે ફરજ બજાવતા રતનકુમાર મેઘવાળ નામના 26 વર્ષીય યુવાને એઈમ્સ નજીકના પરાપીપળીયા રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે. આશાસ્પદ યુવાને ડોક્ટર બન્યા પછી ઉજ્જવળ ભવિષ્ય હોવા છતાં નિરાશામાં ડૂબીને આ પગલું ભર્યું છે.
એઈમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, બે મહિના પહેલાં જાન્યુઆરીમાં આ યુવાન મેડિકલ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટરોએ તેને શાંતિથી બેસાડીને કાઉન્સેલિંગ કર્યું હતું અને આરામ કરીને તાજગી મેળવવા માટે તેના વતન રાજસ્થાન મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તે એઈમ્સમાં પાછો આવ્યો નહોતો.
આજે અચાનક તેણે રાજકોટમાં ટ્રેન નીચે કૂદીને આપઘાત કર્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ તે હોસ્ટેલમાંથી ગુમ થયો હતો ત્યારે એકતરફી પ્રેમ અથવા મિત્રતાનો મુદ્દો ચર્ચામાં હતો, પરંતુ આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે બે મહિના પહેલાં હોસ્પિટલે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું, પરંતુ તેનું ડિપ્રેશન દૂર થયું ન હતું. જાન્યુઆરીમાં તેને રાજસ્થાન તેના ઘરે આરામ કરવા માટે મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ તે અચાનક રાજકોટ આવી ગયો અને જીવન ટૂંકાવી દીધું. આ કેસમાં એક તરફી મિત્રતા સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે.